કોંગ્રેસે આપ્યો "શેહજાદા"નો જવાબ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યાં-"શહેનશાહ"
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04052024_103205_PriyankaGandhi.webp)
- 04 May, 2024
ગુજરાતમાં હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રાજ્યના બનાસકાંઠામાં એક રેલીમાં સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદીને શહેનશાહ(રાજાઓના પણ રાજા) કહ્યાં હતા. તેમણે કહ્યું કે મોદી મહેલમાં રહે છે પરંતુ લોકો સાથે તેમનું જોડાણ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શેહજાદા કહીને સંબોધે છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આજે પક્ષના નેતા ગેનીબેન ઠાકોર માટે બનાસકાંઠાના લખાનીમાં એક રેલીને સંબોધી હતી. પ્રિયંકાએ રેલીને સંબોધતા કહ્યું હતું કે વડાપ્રધાન મારા ભાઈને શેહજાદા કહે છે. હું તેમને કહેવા માંગું છું કે આ જ શેહજાદા કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4,000 કિલોમીટર ચાલ્યા હતા. આ યાત્રા દરમિયાન તેમણે લોકોની સમસ્યાઓને સાંભળી હતી. તે વખતે તે ખેડૂતો, મજૂરો સહિતના લોકોને મળ્યાં હતા અને તેમની વ્યથાને સાંભળી હતી અને તેનું સમાધાન કઈ રીતે લાવી શકાય તે અંગે પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ગુજરાતમાં એક સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન શેહજાદા દેશના વડાપ્રધાન બને તેની રાહ જોઈ રહ્યું છે. દેશના દુશ્મનો તો એમ જ ઈચ્છે કે દેશમાં નબળી સરકારની રચના થવી જોઈએ.
પ્રિયંકાએ કહ્યું હતું કે એકબાજુ નરેન્દ્ર મોદીજી જેવા શેહનશાહ છે, જે હમેશાં મહેલમાં રહે છે. તમે તેમને ક્યારેય ટીવીમાં જોયા છે? તેઓ હમેશાં એક પણ ડાઘો પડેલો ન હોય તેવા વસ્ત્રોમાં જોવા મળે છે, આ સિવાય તેમનો એક પણ વાળ ચૂંથાયેલો હોતો નથી. તેમને તમારા સખ્ત પરિશ્રમનો અંદાજ કઈ રીતે આવશે, કઈ રીતે તે તમારી ખેતીને સમજી શકશે, તેમને એ વાતનો પણ અંદાજ કઈ રીતે આવશે કે ફુગાવાએ તેની મર્યાદાને વટાવી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ દેશના બંધારણને બદલવા માંગે છે અને બંધારણ દ્વારા લોકોને તેમના પ્રાપ્ત થયેલા અધિકારને ઘટાડવા માંગે છે.
પ્રિયંકાએ વધુમાં કહ્યું કે જો તમને રાજકારણમાં સમજ પડતી હોય તો મુદ્દાની વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીએ લોકોના હકને નબળા કરવાનું જ કામ કર્યું છે. બીજેપીએ બનાસકાંઠામાં એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર રેખા ચૌધરીને ટિકિટ આપી છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીના મેદાનમાં છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ